|
શ્રી લોઢણ પાર્શ્વનાથ દર્શકના દિલને ડોલાવી દેતા આ નયન રમ્ય શ્યામલ પ્રતિમાજીના ઉદ્ભવનો ઈતિહાસ રસિક અને રોમાંચક છે. આ પ્રતિમા એક ધર્મનિષ્ઠ શ્રેષ્ઠીની વ્રત દ્રઢતાનું પ્રતીક છે. પોઠો ભરીને ગામે ગામ વ્યવસાયાર્થે વિચરતો સાગરદત્ત નામનો શ્રેષ્ઠી દર્ભાવતી નગરીમાં આવી ચડયો. આ વ્રતધારી શ્રાવક ચાર્તુમાસના દિવસોમાં દર્ભાવતીમાં સ્થિર થયો. પરમાત્માના પૂજન બાદ જ ભોજન લેવાની પ્રતિજ્ઞા હતી. પોતાના વ્રત પાલનની સરળતા માટે માતાના કહેવાથી તેણે વેળુના એક મનોહર બિંબને નિર્મિત કરી પોતાના ગૃહમંદિરમા...ં પધરાવ્યા. આ પ્રતિમાની તે નિત્ય ભાવોલ્લાસથી પૂજા કરતો. ચાર્તુમાસ પૂર્ણ થતાં આ વ્યવહારી સ્વદેશ જવા તૈયાર થયો. ત્યારે આ પ્રતિમાજી તેણે શહેરની મધ્યમાં આવેલા એક કૂવામાં પધરાવ્યાં. વ્યવસાયાર્થે આ સાર્થવાહને પુનઃ દર્ભાવતી આવવાનું થયું. મધ્યરાત્રિએ સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે કૂવામાંથી પ્રતિમાજીને બહાર કાઢવા તેને આદેશ કર્યો. પ્રભાતે તેણે સ્થાનિક સંઘને પોતાના કાર્યમાં સહકાર આપવા વિનંતી કરી. તેના સ્વપ્નનીવાત વાયુવેગે પ્રસરી ગઈ. અન્યધર્મીઓએ પણ આ મૂર્તિ ઉપર પોતાનો હક પ્રદર્શિત કર્યો. જે પ્રતિમાજીને કૂવામાંથી બહાર કાઢે તે સંપ્રદાય આ પ્રતિમાનો અધિકારી બને તેવો નિર્ણય થયો. અન્ય સંપ્રદાયના સર્વે પ્રયત્નો નિષ્ફળ ગયા. જૈનોએ કુંવારી કન્યા પાસે કાચા સૂતરના તાંતણે ચાળણી બાંધી કૂવામાં ઉતરાવી. પ્રતિમાજી આપમેળે ચાળણીમાં બેઠાં અને કૂવામાંથી બહાર આવ્યા. જૈન શાસનના જયજયકારના મંગળનાદોથી વાતાવરણ ગુંજી ઉઠયું. સારથિ વગરના બળદગાડામાં પ્રભુજીને પધરાવ્યા. ગાડું જ્યાં ઊભું રહયું ત્યાં ભવ્ય જિનાલયને બંધાવી પરમાત્માને સ્થાપિત કરવામાં આવ્યા. કૂવાના પાણીમાં ઘણો કાળ રહેવા છતાં વેળુંની આ પ્રતિમાજીનો એક કણ પણ ખર્યો નહિં અને વેળુ પિંડ લોઢા જેવો બની રહયો , તેથી આ પ્રતિમાજી લોઢણના નામથી પ્રસિદ્ધ થયાં. આ ઘટના 600 થી પણ અધિક વર્ષો પૂર્વે બની હોવાનું કહેવાય છે. સં. 1990 માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો. જિનાલયના ઉપરના ભાગમાં શ્રી શીતલનાથ મૂળનાયક છે. શ્રી લોઢણ પાર્શ્વનાથજી ભોંયરામાં બિરાજે છે.
|